SC/ST: પ્રમોશનમાં અનામત યોગ્ય કે અયોગ્ય? આજે સુપ્રીમનો આવી શકે છે ચુકાદો

SC/ST કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ આજે ચુકાદો આપશે

SC/ST: પ્રમોશનમાં અનામત યોગ્ય કે અયોગ્ય? આજે સુપ્રીમનો આવી શકે છે ચુકાદો

નવી દિલ્હી: SC/ST કર્મચારીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત આપવા મામલે સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલ આજે ચુકાદો આપશે. દેશના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વવાળી બંધારણીય પેનલ આજે આ અંગે ચુકાદો આપશે કે 12 વર્ષ જૂના એમ નાગરાજ મામલે કોર્ટના ચુકાદામાં પુર્નવિચારની જરૂર છે કે નહીં. 

દેશમાં થઈ રહી છે વોટ બેંકની રાજનીતિ-પ્રશાંત ભૂષણ
આ ચુકાદામાં કહેવાયું હતું કે એસસી એસટીને પ્રમોશનમાં અનામત આપવા માટે સરકારે તેમના પછાતપણા અને પર્યાપ્ત પ્રતિનિધિત્વ ન હોવાના આંકડા ભેગા કરવા પડશે. હકીકતમાં આ અગાઉ પક્ષકારોના વકીલ શાંતિ ભૂષણે નાગરાજના ચુકાદા પર પુર્નવિચારને લઈને કેન્દ્ર સરકારની અરજીનો વિરોધ કર્યો હતો. ભૂષણે કહ્યું હતું કે આ વોટબેંકનું રાજકારણ છે અને આ મુદ્દાને રાજકીય બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પદોન્નતિમાં કોટા કલમ 16(4) હેઠળ સંરક્ષિત નથી, જ્યાં ક્રિમી લેયરની અવધારણા આવી જશે. 

નાગરાજના ચુકાદાને પ્રશાંત ભૂષણે ગણાવ્યો ન્યાયાસંગત
ભૂષણે કહ્યું હતું કે સરકારી નોકરીઓમાં પદોન્નતિમાં SC/ST માટે કોટા અનિવાર્ય કરવાની મંજૂરી આપી શકાય નહીં અને તે બંધારણની મૂળ સંરચનાનો ભંગ કરશે. ભૂષણે નાગરાજના ચુકાદાને ન્યાયાસંગત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે શું SC/ST માટે સરકારી નોકરીઓમાં પદોન્નતિમાં અનામત વિભિન્ન કેડરો કે સેવાઓમાં તેમના પ્રતિનિધિત્વની અપર્યાપ્તતા કે ડેટા વગર જ પ્રદાન કરી દઈ શકાય?

કોર્ટમાં કેન્દ્રએ આપ્યો હતો આ તર્ક
હકીકતમાં આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 2006માં નાગરાજ મામલે આવેલો ચુકાદો ST/SC કર્મચારીઓના પ્રમોશનમાં અનામત આપવામાં વિધ્ન નાખી રહ્યો છે. જેને લઈને આ ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે  કહ્યું હતું કે આ ચુકાદામાં અનામત આપવા માટે આપવામાં આવેલી દરેક શરતો પર દરેક કેસમાં અમલ કરવો એ વ્યવ્હારિક રીતે શક્ય નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે 2006માં આવેલા આ ચુકાદામાં કહેવાયું હતું કે પ્રમોશનમાં રિઝર્વેશન આપતા પહેલા એ સાબિત કરવું પડશે કે સેવામાં SC/STનું પુરતુ પ્રતિનિધિત્વ છે કે નહીં અને તે માટે ડેટા આપવો પડે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટોર્ની જનરલે કહ્યું હતું કે SC/ST સમુદાય સામાજિક અને આર્થિક રીતે પાછળ રહે છે અને SC/STમાં પછાતપણાને સાબિત કરવાની જરૂર નથી. એટોર્ની જનરલે કહ્યું હતું કે 1000 વર્ષથી SC/ST જે ભોગવી રહ્યાં છે તેને સંતુલિત કરવા માટે SC/STને અનામત અપાઈ છે, આ લોકો આજે પણ ઉત્પીડનના શિકાર થઈ રહ્યાં છે. 

કેન્દ્રએ નાગરાજના ચુકાદા પર ઉઠાવ્યા હતાં સવાલ
2006માં એમ નાગરાજના ચુકાદા પર સવાલ ઉઠાવતા એટોર્ની જનરલે કહ્યું હતું કે આ ચુકાદામાં અનામત આપવા માટે અપાયેલી શરતો પર દરેક કેસમાં અમલ કરવો એ વ્યવહારિક રીતે શક્ય નથી. તમે SC/STને નોકરીઓમાં અપર્યાપ્ત પ્રતિનિધિત્વ કેવી રીતે સાબિત કરશો. શું તે દરેક માટે હશે? શું સમગ્ર વિભાગ માટે હશે. આ તમામ ફેક્ટર કેવી રીતે નિર્ધારીત તશે. એટોર્ની જનરલે જણાવ્યું કે સરકાર SC/ST સમુદાય માટે સરકારી નોકરીઓમાં 22.5 ટકા પદો પર પ્રમોશનમાં અનામત ઈચ્છે છે, ફક્ત આ સંખ્યા નોકરીઓમાં તેમના વ્યાજબી પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરી શકે છે. 

શું છે એમ નાગરાજનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે 2006માં એમ નાગરાજને લઈને ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ક્રિમી લેયરની અવધારણા સરકારી નોકરીઓમાં પદોન્નતિમાં એસસી/એસટી અનામતમાં લાગુ કરી શકાય નહીં. જેવી રીતે અન્ય પછાત વર્ગોમાં ક્રિમી લેયરને લઈને અગાઉના બે ચુકાદા 1992ના ઈન્દ્રા સાહની અને અન્ય વિરુદ્ધ કેન્દ્ર સરકાર (મંડલ આયોગ ચુકાદો) અને 2005નો ઈવી ચિન્નૈય્યા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના ચુકાદામાં કહેવાયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news